સંતરામ મંદિર (Santram Mandir) એક એવું મંદિર કે જ્યાં ભગવાનની મૂર્તિ નથી છતાં પણ અપરંમપાર શ્રદ્ધા છે. ભક્તિ અને ધર્મનું સંગમ, જ્યાં દિવ્ય જ્યોતમાંથી મળે છે ભક્તો પર કૃપાનું પ્રમાણ. ભક્તોને આધિ, વ્યાધિ અને ઉપાધીમાંથી અપાવે છે મુક્તિ, માત્ર મંદિરમાં જ નહી પરંતુ આખા શહેરમાં ગુંજે છે જય મહારાજના નાદ.
જય મહારાજ શબ્દ કાને પડતા જ સૌને યાદ આવે છે સંતરામ મંદિર. સંતરામ મહારાજની નામના એટલી ફેલાયેલી છે કે અહીં ભક્તો દેશ વિદેશથી દર્શન કરવા આવે છે. તો આવો જાણીએ વિશ્વ વિખ્યાત ધર્મસ્થળ સંતરામ મંદિરના ઈતિહાસ વિશે…
Santram Mandir નો ઈતિહાસ
Santram Mandir Nadiad
તપોભૂમિ અને સાક્ષરભૂમિ નડિયાદની મધ્યમાં સંતરામ મંદિર આવેલુ છે. અહીં સંતરામ મહારાજ (Santram Mandir) સત્ય સ્વરૂપે બિરાજમાન છે. માન્યતા છે કે, સંતરામ ભગવાન મહારાજ દત્તાત્રેય ભગવાનનો જ એક અવતાર છે. ભગવાન દત્તાત્રેય ગિરનાર પર્વત પર માનવકલ્યાણ માટે જ અવતરિત થયા હતા.
ભગવાન દત્તાત્રેય ગામે ગામ વિચરણ કરતા લોકોને જ્ઞાન, ભક્તિ અને યોગનો ઉપદેશ આપતા હતા. તે સાથે જ ઘણાં માનવ કલ્યાણના કાર્યો કરતા હતા. સંતરામ મહારાજ નડિયાદ પધાર્યા અને ત્યાં જ સાધના કરવાનું શરૂ કર્યું હતુ.
સંતરામ મહારાજે લીધી હતી સમાધિ
સવંત 1887ના મહા મહિનાની પાવન પૂર્ણિમાની સાંજે સંતરામ મહારાજ સમાધિમાં લીન થયા હતા. સંતરામ મહારાજ સમાધિમાં લીન થયા ત્યારબાદ એક દિવ્ય પ્રકાશ પ્રગટ્યો હતો. તે સાથે જ ઘીના દીવા પ્રગટ્યા હતા. એ દીપ આજે પણ અખંડ જ્યોત સ્વરૂપે સર્વના કલ્યાણ માટે પ્રકાશિત છે. મહા મહિનાની પૂર્ણિમાના દિવસે આ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં મંદિરમાં મહાઆરતી અને સાકરની વર્ષા કરવમાં આવે છે.
Santram Mandir Nadiad
તમામ મંદિર પૈકી આ એક માત્ર એવું મંદિર છે જ્યાં વર્ષમાં એક જ વખત આરતી કરવામાં આવે છે. સંતરામ મંદિરમાં (Santram Mandir) મહા મહિનાની પૂનમે જ સમાઘિની આરતી કરવામાં આવે છે. આ શિખરબદ્ધ શ્વેત મંદિરનું બાંધકામ સંતરામ મહારાજના શિષ્ય લક્ષ્મણદાસજી મહારાજે કર્યું હતુ.
સંતરામ મંદિરમાં લહેરાતી શ્વેત ધર્મ ધજા
મંદિર પર લહેરાતી શ્વેત ધર્મ ધજાના દર્શન કરવાથી પણ તમારુ મન પરમ શાંતિનો અનુભવ કરવા લાગશે. પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ નથી. માત્ર સંતરામ મહારાજની સમાધિ, અંખડ જ્યોત, ગાદી અને મહારાજની દિવ્ય પાદૂકા છે. મંદિરમાં ફક્ત આટલી વસ્તુઓની જ પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ- Chudel Mata નું મંદિર હાઈકોર્ટ ઓફ કુણઘેરના નામથી પ્રખ્યાત છે
નડિયાદની ઓળખ છે સંતરામ મંદિર
સંતરામ મહારાજ(Santram Mandir)નું આ શ્વેત મંદિર નડિયાદની ઓળખ છે. મંદિરમાં સંતરામ મહારાજની સમાધિ અને બાજુમાં તેમના શિષ્ય લક્ષ્મણદાસજી મહારાજની છબીના દિવ્ય દર્શન થાય છે તથા તેમની પૂજા કરવામાં છે. આ મંદિરમાં બીજા કોઈ મહારાજની તસવીર મૂકવામાં આવતી નથી. મંદિરની ગાદી પર મહંત રામદાસજી મહારાજ બિરાજમાન રહીને સેવા કરી રહ્યાં છે.
Santram Mandir Nadiad
મંદિર પરિસરમાં પ્રવેશતા જ કાચ મહેલ જોવા મળે છે. જેમાં મહંત તરીકે સેવા કરી ચૂકેલા મહંતની સમાધિઓ રાખવામાં આવી છે. બહારથી જે કોઈ ભક્ત મંદિર પરિસરમાં આવે ત્યારે સૌથી પહેલા કાચ મહેલમાં રહેલી સમાધિના દર્શન કરે છે.
આ મંદિરની એક અનોખી પરંપરા છે. મંદિરની ગાદી પર બિરાજમાન મહારાજ ક્યારેય પણ પરિસર છોડીને બહાર જતા નથી. આ શ્વેત સ્વરૂપી મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તો અહીં ચાલતી ધૂનથી અનેરી ઊર્જાનો દિવ્ય અનુભવ કરે છે. આ ધૂૃનની શરૂઆત 10 વર્ષ પહેલા શરૂ થઈ હતી જે અવિરત અખંડ હજુ પણ ચાલી રહી છે.
Santram Mandir આકાશવૃત્તિ પર ચાલે છે
સંતરામ મંદિર (Santram Mandir) આકાશવૃત્તિ ઉપર ચાલે છે. મંદિરના નામે કોઈ પણ પ્રકારનું દાન, ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી. તે છતાં કપરાકાળમાં સૌ કોઈની મદદ માટે આ મંદિર અગ્રેસર રહે છે. મંદિર દ્વારા અન્નપૂર્ણા ચાલે છે જ્યાં જરુરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે. મંદિર દ્વારા નજીવી ફી લઈને બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.
Santram Mandir Kach Mahel
શાળામાં ધાર્મિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. સ્કૂલમાં નિયમિત વંદના કરાવવામાં આવે છે. તે સમયે મંદિરના સંત નિર્ગુણદાસ મહારાજ ઉપસ્થિત રહે છે. દત્તાત્રેય યોગના પ્રથમ ભગવાન હતા કે જેમણે અનોખી રીતે તાંત્રિક લાક્ષણિકતાઓ રજૂ કરી હતી. આથી જ આ મંદિરમાં યોગ સદનમાં સવારે અને સાંજે યોગ કરાવવામાં આવે છે.
સંતરામ મંદિર દ્વારા દરેક રોગોની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ચલાવવામાં આવે છે. સંતરામ નેત્રચિકિત્સાલય મોતિયાના ઓપરેશન માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. મંદિર દ્વારા લોકહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ આશ્રમમાં દેશ વિદેશથી ભક્તો દર્શન કરવા આવે છે.
આ મંદિરમાં ફૂલોની નહીં પણ સાકરની વર્ષા કરવામાં આવે છે. અહીં આવનાર દરેક ભક્તોના દુખ સંતરામ મહારાજ દૂર કરે છે. જે પણ વ્યક્તિ મંદિરમાં રહેલી જ્યોતની પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના ફલિફુત થાય છે. ભક્તોની આસ્થા છે કે અહીં આવેલી દિવ્ય જ્યોતમાં મહારાજ અખંડ નિવાસ કરે છે. આથી અહીં મહા મહિનાની પૂનમે ભક્તોની ભીડ જામે છે. અને જય મહારાજ.. જય મહારાજના મંત્ર સાથે આખું નડિયાદ ગુંજી ઉઠે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4